કંદમૂળના બધા શાકભાજીના પાકામાં સુરણ અગત્યનું સ્થાન ધરાવે છે. કંદમૂળ વર્ગના શાકભાજી મુખ્યત્વે ખનીજદ્રવ્યો, વિટામીન, પ્રોટીન તેમજ વધુ પ્રમાણમાં કેલરીથી ભરપૂર હોય છે. સુરણ મળને રોકનાર, સરળતાથી પચી જનાર, ગરમ, કફ, વાયુ અને અર્શ એટલે કે મસા-પાઈલ્સને મટાડનાર, પ્લીહા અને લીવરના રોગોમાં ખુબ જ ગુણકારી છે.
સુરણ ગોળો, સોજા, કૃમી, આમવાત, સંધીવાત, ઉદરશુળ, ઉધરસ, શ્વાસ, મેદવૃદ્ધી વગેરેમાં લાભદાયી છે. કમર પર ચરબી હોય અથવા તો ફાંદ મોટી હોય તેમને સૂરણ ખાવાથી અનેક લાભ થાય છે. તમને ઈરિટેબલ બોવેલ સિન્ડ્રમ અથવા તો અનિયમિત પાચનતંત્રની તકલીફ હોય તો તમારુ પેટ ફૂલી જાય છે.
આહારમાં પણ સૂરણનો ઉપયોગ કરી શકાય છે. સુરણ કેન્સર જેવા ગંભીર રોગો સામે પણ રક્ષણ આપે છે. આ શાકભાજીમાં ફાઈબર, વિટામિન, વિટામિન બી6, ફોલિક એસિડ મળી આવે છે. આ સાથે સૂરણમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન જેવા અન્ય પ્રકારના પોષક તત્વો પણ જોવા મળે છે.
સુરણને કારણે તમારુ પાચનતંત્ર મજબૂત બને છે અને તેમાં રહેલા બેક્ટેરિયા ખોરાકને પચવામાં મદદ કરે છે. આથી કમરનો વધુ ઘેરાવો ધરાવતા અથવા તો ફાંદ ધરાવતા લોકો માટે સૂરણ ખાવુ ફાયદાકારક છે. સુરણમાં ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. સુરણ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે અને શરીરના બહાર કે આંતરિક ભાગમાં સોજા પણ ઘટાડે છે.
પોતાની ઉંમર કરતા મોટા દેખાતા લોકો માટે પણ સૂરણ ફાયદાકારક છે. જે લોકોની ચામડી ઢીલી પડી ગઈ હોય, ચહેરા પર ધબ્બા પડી ગયા હોય તેવા લોકોએ નિયમિત સૂરણ ખાવુ જોઈએ. હાથીપગા રોગમાં પગે સોજો ચઢે છે અને ધીમે ધીમે તે વધતો જઈ હાથીના પગ જેવડો થાય છે. આ વિકૃતિમાં સૂરણનો લેપ ઘણાં સારા પરિણામ આપે છે. સૂરણના ટુકડા સાથે ઘી લઈ તેને મધમાં વાટીને સવાર-સાંજ તેના સોજા પર લેપ કરવો.
સૂરણ લોહિયાળ મસાને પણ સારા કરે છે. રક્તસ્રાવી મસામાં સૂરણ અને કડાછાલનું સમભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું સવાર-સાંજ છાશ સાથે લેવું. થોડા દિવસમાં જ રક્તસ્રાવી મસામાં લાભ જણાશે. સૂરણ મંદાગ્નિ અને આમદોષને દૂર કરનાર ઉત્તમ ઔષધ છે. સૂરણના કંદને સૂકવીને તેનું ચૂર્ણ કરી એક ચમચી જેટલા આ ચૂર્ણને ઘીમાં શેકીને, સાકર સાથે લેવાથી આમ અને મંદાગ્નિ મટે છે.
આયુર્વેદમાં જણાવ્યા મુજબ થાક લાગ્યો હોય, બંધ કોષ કે પાઈલ્સની સમસ્યામાં પણ સૂરણ ખૂબ જન ઉપયોગી સાબિત થાય છે. સૂરણમાં આઈસોફલેવોનીસ રહેલું છે, જે સ્કીનની ઘણી મુશ્કેલીઓ જેવી કે પીગમેન્ટશન, સેગીંગ અને રફ સ્કીન માટે ફાયદાકારક છે. લાંબા સમય સુધી તેને પોતાના ખોરાકમાં લેવાથી તમારી સ્કીન સોફ્ટ અને સ્મૂધ થશે.
સૂરણએ હરસ-મસાનો નાશ કરનાર શ્રેષ્ઠ ઔષધ છે. હરસની તકલીફમાં સૂરણના કંદને સૂકવીને બનાવેલું ચૂર્ણ 300 ગ્રામ, ચિત્રક 150 ગ્રામ અને કાળા મરી 15 ગ્રામ લઈ બધાનું ચૂર્ણ કરી તેમાં બમણો ગોળ મેળવીને મોટા બોર જેવડી ગોળીઓ બનાવી લેવી. સવાર-સાંજ જમ્યા પછી આ એક-એક ગોળીનું સેવન કરવાથી બધા પ્રકારના હરસ મટે છે.