ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમ છતાં કોરોના મહામારી અને તેના કારણે અમલમાં મૂકવામાં આવેલા લોકડાઉનના લીધે લોકોનું જીવન મોટા પાયે પ્રભાવિત થયું હતું. હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યાં લોકોનું જીવન ધીરે-ધીરે પાટા પર ચઢી રહ્યું છે. જ્યારે અત્યારે રાજ્યભરમાં લગ્નગાળો પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. અત્યારે લગ્ન સહિતના સામાજિક સમારંભમાં માત્ર 400 લોકોની જ મર્યાદા રાખવામાં આવેલ છે. આ કારણોસર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ટુંક જ સમયમાં ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે અને ડિસેમ્બર મહિનાથી તેના કાર્યક્રમોની શરુઆત કરવામાં આવશે. આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખતા સરકાર તરફથી મર્યાદા વધારીને 600 થી 800 સુધી કરવાની તૈયારી શરૂ કરાઈ રહી છે. આ સિવાય રાત્રી કર્ફ્યૂ ઉઠાવી લેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, સરકારી કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે અને તે સમયે પોલીસ અથવા તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જ્યારે બીજી બાજુ લગ્ન સહિતના સામાજિક કાર્યક્રમોમાં તંત્ર દ્વારા કડક નિયમો લાદવામાં આવે છે. આ વ્યવહારને કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
તેમ છતાં દેશભરમાં ત્રીજી લહેરની પ્રબળ શક્યતા હતી અને સરકારોએ તેના માટે તૈયારીઓ પણ શરુ કરી દીધી હતી. પરંતુ હવે ત્રીજી લહેરની શક્યતા નહિવત્ત જોવા રહી છે ત્યારે આરોગ્ય અને ગૃહ વિભાગ ટુંક જ સમયમાં તમામ પરિબળોનો અભ્યાસ કરીને ડિસેમ્બરથી કોરોના નિયંત્રણમાં છૂટ આપવામાં આવી શકે છે. નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી મંત્રીઓને પણ રજૂઆત કરવામાં આવેલ છે. સરકાર દ્વારા હવે આ રજૂઆતો પર વિચારણા કરવામાં આવશે.
નોંધનીય છે કે, પ્રથમ ડિસેમ્બરથી રાજ્યમાં વાઈબ્રન્ટ ગુજરાતને લગતા કાર્યક્રમોની શરુઆત થવા જઈ રહી છે. આ દરમિયાન અન્ય રાજ્યમાંથી આવનારા લોકોને રાત્રે મુસાફરી કરવાની ફરજ પડી શકે છે. આ સિવાય અન્ય સેમિનાર અને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપી શકે તેવી શક્યતા છે. આ કારણોસર સરકાર દ્વારા તે સમયે પણ છૂટછાટ આપવામાં આવી શકે છે. હવે આ બાબતમાં ટૂંક જ સમયમાં સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે.